Apply for online services under આત્મનિર્ભર ગુજરાત – જીઆઇડીસી પેકેજ
વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ને રાજ્યમાં વધુ ફેલાતી અટકાવવા માટે સમગ્ર રાજ્યમાં લગભગ બે માસ જેટલા સમય માટે લોકડાઉન કરવામાં આવેલ જેને પરિણામે રાજ્યની અર્થવ્યવસ્થા ઉપર વિપરિત અસર થયેલ છે. જેના અનુસંધાને સરકારશ્રીના નાણા વિભાગના ઠરાવ ક્રમાંક:અપબ/૧૦૨૦૨૦/૧૦૮/૧૯૫૨૨૪/ક તા.૦૫/૦૬/૨૦૨૦ થી આત્મનિર્ભર ગુજરાત પેકેજ જાહેર કરવામાં આવેલ છે.
જે અંગેના વિગતવાર અમલીકરણ બાબતના પરિપત્રો આ સાથે સામેલ કર્યા અનુસાર જાહેર કરવામાં આવે છે.
ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ફાળવણીદારો ધ્વારા જે તે સમયે તેઓને ભરવાપાત્ર બાકી લ્હેણાં સમયસર ન ભરવાને કારણે નિગમની નીતિ અનુસાર તેવા લ્હેણાં ઉપર લાગુ કરેલ દંડકીય વ્યાજ અને વિલંબીત વ્યાજના ભારણથી ઉધોગ સાહસિકોને રાહત મળે તે હેતુથી બાકી લ્હેણાં એકસાથે ચુકવવા માંગતા ફાળવણીદારોને વિલંબિત ચુકવણાની વ્યાજની રકમમાં ૫૦% માફી તથા દંડનીય વ્યાજની રકમમાં ૧૦૦% માફ કરવા અંગેની યોજના આ પરિપત્ર જારી કર્યા તારીખથી ૩૧/૧૨/૨૦૨૦ સુધી અમલમાં મુકવામાં આવે છે.
જીઆઇડીસી દ્ધારા પ્રતિવર્ષ ૨% લેખે વણવપરાશી દંડ વસુલ લેવામાં આવે છે. ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન જો કોઈ મિલકત વણવપરાશી રહેવા પામે તો તે અંગે વણવપરાશી દંડ આ વર્ષ માટે વસુલ નહી લેવા નિર્ણય કરવામાં આવે છે.
જીઆઈડીસીને ફાળવણીદારો ધ્વારા ભરપાઈ કરવાના થતા તા.૩૧/૦૩/૨૦૨૦ તથા તા.૩૦/૦૬/૨૦૨૦ના હપ્તાની ચુકવણીનો સમયગાળો છ મહિના માટે લંબાવી આપવા તેમજ માર્ચથી જુનનો સમયગાળો સૌથી વધુ અસરગ્રસ્ત હોઈ સદર ત્રિ-માસિક સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજ તથા દંડનીય વ્યાજની વસુલાત નહી કરવા તથા જી.આઈ.ડી.સી. ધ્વારા બાકીના સમયગાળા માટે વિલંબીત ચુકવણીના વ્યાજની વસુલાત ૭%ના રાહત દરે કરવા નિર્ણય કરવામાં આવે છે.
લોકડાઉનની પરિસ્થિતિના કારણે જીઆઇડીસી ધ્વારા કેટલાંક ઉદ્યોગકારોને ફાળવેલ પ્લોટની આંશિક/કુલ રકમ ભરપાઇ કરી શકેલ નથી. સદર ફાળવેલ પ્લોટ ઉપરની વિલંબીત વ્યાજ માફીની સમયમર્યાદા તા.૩૦/૦૯/૨૦૨૦ સુધી વધારી આપવા નિર્ણય કરવામાં આવે છે.
વર્ષ:૨૦૨૦-૨૧ માટેની જીઆઈડીસી ધ્વારા પ્લોટની ફાળવણીની કિંમતની સમીક્ષા સ્થગિત રાખવા નિર્ણય કરવામાં આવે છે.
જીઆઇડીસી ધ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી નવા ઉદ્યોગોને જમીનની કિંમતની ચુકવણીમાં સુવિધા મળી રહે તે માટે નિગમ ધ્વારા હાલના અમલી વ્યાજ દરને ૧૨% થી ઘટાડીને ૧૦% કરવા નિર્ણય કરવામાં આવે છે.
નિગમના ફાળવણીદારોને પ્લોટનો વપરાશ શરૂ કરવા માટે આપવામાં આવતા મોરેટોરિયમ પિરિયડની મુદત વર્તમાન અસાધારણ પરિસ્થિતિને ધ્યાને રાખી ચાલુ નાણાંકીય વર્ષ માટે તમામ મિલકતોનો વપરાશ શરૂ કરવા માટે મોરેટોરિયમ પિરિયડ ૧ વર્ષ વધારવા નિર્ણય કરવામાં આવે છે.
હાલમાં જીઆઈડીસીના ૧૬૩૫ ઔધોગિક પ્લોટનો મોરેટોરિયમ પિરિયડ પૂર્ણ થઈ ગયેલ છે કે જે ખુલ્લા હોય અથવા ઉત્પાદન શરૂ કરવાનું બાકી છે તેવા ઉધ્યોગકારો ઉત્પાદન તા-૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં શરૂ કરે તે શરતે વણવપરાશી દંડમાં માફી આપવા અંગે નિર્ણય કરવામાં આવે છે.
વપરાશની સમયમર્યાદામાં વધારો કરવા અંગેની અરજી કરવાની સમય-મર્યાદા તા:૩૧/૧૨/૨૦૨૦ સુધી લંબાવવા બાબત
‘સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે સારૂ જીઆઇડીસી ધ્વારા ૩૦૦૦ ચો.મી. સુધીના પ્લોટ ફાળવણી માટેની મળતી ઓનલાઇન અરજીઓને સમિતિ સમક્ષ મૂકયા વગર રજૂ કરાયેલ દસ્તાવેજી પૂરાવા આધારે ફાળવણીની મંજૂરી આપવા નિર્ણય કરવામાં આવે છે.
જીઆઇડીસીમાં આવેલ અનસેચ્યુરેટડ વસાહતોમાં લગત પ્લોટ ફાળવણી માટે હાલની નીતિ અનુસાર પ્રવર્તમાન વિતરણ કિંમતના ૨૦% પ્રીમિયમ એકીસાથે વસૂલ લઇ ફાળવણી કરવાની નીતિમાં ફેરફાર કરી આવી અનસેચ્યુરેટડ વસાહતોમાં કોઇપણ પ્રકારનું વધારાનું પ્રીમિયમ વસૂલ્યા સિવાય ઉદ્યોગકારોને તેમના ઉદ્યોગના વિસ્તરણ માટે લગત પ્લોટની ફાળવણી વસાહતના પ્રવર્તમાન વિતરણ દર મુજબ કરવા નિર્ણય કરવામાં આવે છે.
કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારી અંતર્ગત લોક ડાઉનના કારણે બંધ રહેલ ઉધોગોને પુન: રાબેતા મુજબ કાર્યરત કરવાના હેતુસર જીઆઈડીસી વસાહતોમાં આવેલ ફાળવણીદારોને પાણી તથા ડ્રેનેજ બીલ જારી થયે નિયત સમયમર્યાદામાં ભરી શકે તેમ ન હોઈ માર્ચ-૨૦૨૦ તથા એપ્રિલ-૨૦૨૦ ના બીલ જારી થયેથી તેના ચુકવણાની મુદત ૩૦ જુન ૨૦૨૦ સુધી વધારવા નિર્ણય કરવામાં આવે છે.
જીઆઈડીસીમાં આવેલ યુનિટ કે જે બે વર્ષ કરતાં વધુ સમય માટે બંધ રહેલ હોય તેવા ઉદ્યોગોને પુન:જિવિત કરવાના હેતુથી નિયત શરતોને આધિન પ્રતિ વર્ષના ધોરણે વસુલ લેવામાં આવતા મહત્તમ ૨૦% ના વણવપરાશી દંડમાં ઘટાડો કરી સંકલિત દરે ફક્ત ૫% વસુલ કરવાનો અને તબદીલી ફી ઓછી કરી ૧૫% ના સ્થાને ૧૦% લેખે વસુલ કરવા માટેની યોજના છ માસના સમયગાળા માટે અમલમાં મુકવા નિર્ણય કરવામાં આવે છે.
જીઆઇડીસીના નિર્દિષ્ટ વિસ્તારના ઉધોગકારોને તેઓના તમામ વિલંબીત ચુકવણાના વ્યાજમાં રાહત મળે તે હેતુથી વસુલાત પર વ્યાજની રકમમાં રાહત/માફી આપવા આ પરિપત્ર જારી કર્યા તારીખથી ૩૧/૦૨/૨૦૨૦ સુધી અમલમાં મુકવામાં આવે છે.